ગુરુવાર, 4 જુલાઈ, 2013

સૌરાષ્ટ્ર યુનિ.માં ખગોળ વિજ્ઞાન અંગેનાં કોર્ષ

સૌરાષ્ટ્ર યુનિ.માં ખગોળ વિજ્ઞાન અંગેનાં કોર્ષ

જીજીએન ટીમ દ્વારા | July 03, 2013, 05:36 PM IST
સૌરાષ્ટ્ર યુનિ.માં ખગોળ વિજ્ઞાન અંગેનાં કોર્ષ
રાજકોટ :
સૌરાષ્ટ્રમાંથી પણ કોઈ વિદ્યાર્થી હવે સુનીતા વિલિયમ્સ, કલ્પના ચાવડા  કે ડોક્ટર હોમીભાભા બની શકે તે હેતુથી સૌરાષ્ટ્ર યુનીવર્સીટી સમગ્ર દેશમાં સૌ પ્રથમવાર અવકાશ અને ખગોળ વિજ્ઞાન અંગેના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના  કોર્ષ શરુ કરી રહી છે. જે માટે સૌરાષ્ટ્ર યુનીવર્સીટી અને ઇન્ડિયન  પ્લેનેટરી સોસાયટી સાથે એમઓયુ સાઈન થયા છે અને આગામી શેક્ષણિક સત્રમાં આ અનોખો અભ્યાસ ક્રમ શરુ થશે.

ભલે આપણે સૌ કોઈ અવકાશ યાત્રા, સ્પેસ સટલ અને  ઉપગ્રહની વાતો કરતા  હોય પણ આજ સુધી ભારતમાં એસ્ટ્રોનોમીનો સ્નાતક કક્ષાનો  અભ્યાસક્રમ નથી. હવે સૌરાષ્ટ્ર યુનીવર્સીટી એસ્ટ્રોફીઝીક્સ અને એસ્ટ્રોનોમીના ક્ષેત્રમાં સ્નાતક, અનુ સ્નાતક અને પીએચડી કક્ષાના અભ્યાસ ક્રમ શરુ કરવા દેશની પહેલી યુનીવર્સીટી બનવા આગેકુચ કરી રહી છે. સૌરાષ્ટ્ર યુનીવર્સીટીએ ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટી સાથે એમઓયુ સાઈન કર્યા છે. ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટી અવકાશ ક્ષેત્રે સંશોધન અને અભ્યાસ કરતી દેશની ખ્યાતનામ  સંસ્થા છે જેના વડા પ્રખ્યાત ખગોળશાસ્ત્રી ડોક્ટર જે.જે.રાવલ છે. જેમના  માર્ગદર્શન  હેઠળ અભ્યાસક્રમની રચના થશે એ દેશના ખ્યાતનામ ખગોળશાસ્ત્રીઓ  વિદ્યાર્થીઓને ખગોળવિદ્યા ભણાવશે. સૌરાષ્ટ્ર યુનીવર્સીટીના કુલપતિ  પાડલીયાએ જણાવ્યું હતું કે આ પ્રકારનો અભ્યાસક્રમ સૌથી પહેલા સૌરાષ્ટ્ર યુનીવર્સીટી શરુ કરી રહી છે, આ અભ્યાસક્રમ થકી સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ ઈસરો, નાસા જેવી મોટી સંસ્થાઓ સુધી પહોચી શકશે.

ભૌતિક વિજ્ઞાનની  સાથે  અવકાશ વિજ્ઞાનમાં જે વિદ્યાર્થીઓને રસ હોય તેમના માટે કારકિર્દી ઘડવાની ઉતમ તક આ કોર્ષ બનશે. તો બીજી તરફ એકેડેમિક કાર્યક્રમો તૈયાર કરવાની જવાબદારી  ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટી સંભાળશે. આ માટેનું જરૂરી નાણા ભંડોળ પણ ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટી એકત્ર કરશે તો બીજી તરફ વિદ્યાર્થીઓમાં પણ આ  નવા કોર્ષને લઈને ઉત્સાહ છવાયો છે.

અમેરિકામાં નાસા અને  ભારતમાં ઈસરો જેવી સંસ્થા સારા ખગોળશાસ્ત્રીઓને શોધી રહી છે. કારણ કે અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે અનેક સંશોધનો બાકી છે. સૌરાષ્ટ્ર યુનીવર્સીટી અને ઇન્ડિયન  પ્લેનેટરી દ્વારા જે આ નવું સાહસ કરાશે તેમાં સમગ્ર ભારતના લોક વિજ્ઞાન કેન્દ્રના નિષ્ણાંતો વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે. આ ઉપરાંત ડો.જે જે રાવલ, ડો.જયંત નારલીકર, નરેન્દ્ર ભંડારી, ડો.રામપાલ ટંડન જેવા અવકાશ  વિજ્ઞાન ક્ષેત્રના દિગ્ગજો પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શનની સાથે સહકાર પણ આપશે. આમ સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓની સાથે સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ આ  કોર્ષ દ્વારા એક ઉંચી ઉડાન ભરી શકશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો